જામનગર શહેરમાં 3170 લોકોના ટેસ્ટમાંથી 187 અને ગ્રામ્ય વિસ્તારમાં 2567 લોકોના ટેસ્ટમાંથી 115 વ્યક્તિ કોરોના સંક્રમિત નોંધાઇ
જામનગર તા.14
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારને ધમરોળવાનું સતત ચાલુ રાખ્યું હોય તેમ કોરોનાના કેસની સંખ્યા ગઇકાલે પણ ત્રેવડી સદી નોંધાઇ હતી. ગઇકાલે પણ કોરોનાના 302 કેસ નોંધાયા હતાં. જ્યારે 194 દર્દીઓ સ્વસ્થ થયા હતાં.
જામનગરમાં કોરોનાનો વ્યાપ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ટી-20 મેચની માફક પ્રસરી રહ્યો છે. જામનગર શહેરની વાત કરીએ તો ગઇકાલે 3170 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટીંગ વધવાની સાથે કોરોનાએ પણ તેનો કલર બતાવ્યો હતો અને ગઇકાલે પોઝીટીવ કેસનો આંક બેવડી સદી નજીક 187 થયો હતો. આટલી મોટી સંખ્યામાં પોઝીટીવ કેસ જાહેર થવાની બીજી તરફ ગઇકાલે જામનગર શહેરના માત્ર 77 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ડિસ્ચાર્જ થયા હતાં. ગઇકાલ સુધીમાં જામનગર શહેરમાં 2,75,568 લોકોનો કોરોના ટેસ્ટ થયો છે.
જામનગર ગ્રામ્યમાં ગઇકાલે સર્જાયેલી સ્થિતિને પગલે આરોગ્ય તંત્રમાં તેમજ ગ્રામ્ય પ્રજામાં પણ કોરોનાના કહેર સામે ભયની લાગણી ઉભી થઇ છે. ગઇકાલે જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં 2567 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હોવા છતાં આ પૈકી 115 દર્દીઓ કોરોના સંક્રમિત હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ સામે ગ્રામ્ય વિસ્તારના 117 દર્દીઓ ગઇકાલે સ્વસ્થ બનીને ડિસ્ચાર્જ મેળવી શક્યા હતાં.
આમ ગઇકાલે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મળીને કુલ 5737 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી ગઇકાલે કુલ 302 લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે કોરોનાગ્રસ્ત 194 દર્દી ગઇકાલે સ્વસ્થ થઇ ડિસ્ચાર્જ થયા હતાં.
જામનગર શહેર અને ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,95,108 ટેસ્ટ થયા છે. જેમાં જામનગર શહેરમાં 2,75,568અને જામનગર ગ્રામ્યમાં 2,19,450 ટેસ્ટનો સમાવેશ થાય છે. ગઇકાલ સુધીમાં જામનગર શહેર અને ગ્રામ્યમાં મળીને કુલ 13600 થી વધુ પોઝીટીવ કેસ નોંધાઇ ચુક્યાં છે અને 1450 થી વધુ લોકોના કોવિડ હોસ્પિટલમાં મૃત્યું થઇ ચુક્યાં છે.
Comments
Post a Comment