એક સપ્તાહ પહેલાં એમ.પી.શાહ મેડીકલ કોલેજના મેડીસીન અને એનેસ્થેશિયા વિભાગના 18 તબીબી છાત્રો અને 6 ડોક્ટરોને ડેપ્યુટેશન ઉપર મોકલાયા હતાં: બે નો રિપોર્ટ પોઝીટીવ અને ત્રણના સેમ્પલના રિપોર્ટની જોવાતી રાહ
જામનગર તા.7
જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાંથી કુલ 24 જેટલા ડોક્ટર અને રેસીડેન્ટ ડોક્ટરને ડેપ્યુટેશન ઉપર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરજ ઉપર મોકલવામાં આવ્યા બાદ ત્યાં કોરોનાના દર્દીઓની સારવાર દરમિયાન તબિયતમાં થોડી ગડબડ જણાતા પાંચ તબીબોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ પાંચ પૈકી બે તબીબનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. જ્યારે અન્ય ત્રણના સેમ્પલની ચકાસણી કરવામાં આવી રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર જામનગરની એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડીકલ કોલેજના મેડીસીન વિભાગ અને એનેસ્થેશિયા વિભાગમાં ફરજ બજાવતા 18 તબીબી છાત્રો કે જેઓ જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતાં. તેઓને એક સપ્તાહ પહેલાં આરોગ્ય કમિશનરના આદેશથી જામનગરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ડેપ્યુટેશન ઉપર મોકલવામાં આવ્યા હતાં. ગુજરાતમાં સૌથી વધુ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ધરાવતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડેપ્યુટેશન ઉપર ફરજ બજાવી રહેલાં જામનગરના તબીબી સ્ટાફને પણ કોરોનાનું સંક્રમણ શરૂ થતાં તબીબી આલમ ઉપરાંત તેમના પરિવારજનોમાં ચિંતાનું મોજુ પ્રસર્યું છે.
અમદાવાદ ફરજ બજાવવા ગયેલા તબીબોમાંથી અમુકને કોરોના પોઝીટીવ હોવાની માહિતી મળતા આ અંગે જામનગરની એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડીકલ કોલેજના ડીન ડો.નંદિનીબેન દેસાઇનો સાંજ સમાચારે સંપર્ક કરતા તેઓએ આ માહિતીને સમર્થન આપતા જણાવ્યું હતું કે, જામનગરથી ગયેલાં કુલ 24 તબીબોની ટીમ પૈકી પાંચ ડોક્ટરોને સામાન્ય હોવાનો અહેસાસ ન થતાં તેઓના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. આ પૈકી ડો.જીલ પટેલ અને ડો.કેતન મકવાણાનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. જ્યારે તેમની ટીમમાં રહેલાં અન્ય ત્રણ ડોક્ટરો કીંજલ નારિયા, ડો.પ્રિયંક બત્રા અને ડો.રાજૂ હુણ નો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. આથી આ ત્રણને શંકાસ્પદ દર્દી તરીકે હાલ ગણાવાય રહ્યાં છે.
વધુમાં મળતી વિગત અનુસાર જામનગરના ઉપરોક્ત પાંચેય તબીબોને સરકારની ગાઇડલાઇન મુજબની સુવિધા અને તકેદારી હેઠળ અમદાવાદની એક લકઝયુરીયસ હોટેલ કે જે ક્વોરેન્ટાઇન સેન્ટર તરીકે સરકારે રિક્વીઝેટ કરેલ છે ત્યાં રાખવામાં આવ્યા છે. આજની સ્થિતિએ બે પોઝીટીવ સહિત પાંચેય ડોક્ટરોની તબિયત ભયમુક્ત જણાય છે અને તેઓ રૂટીન મુજબની વર્તુણૂંક કરી રહ્યાં છે. જો કે તેઓને ગઇકાલથી ફરજમુક્ત કરી ક્વોરેન્ટાઇન કરાયા છે.
Comments
Post a Comment