મે માસ માટેના જથ્થાનું આજથી વિતરણ શરૂ: જિલ્લા પુરવઠા અધિકારીની અપીલ: લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, સાધનસંપન્ન પરિવારો જરૂરિયાતમંદોની તરફેણમાં પોતાનો જથ્થો જતો કરી ફરી સમાજ સેવકની ભૂમિકા નિભાવે
જામનગર તા.7
કોવિડ-19નોવેલ કોરોના વાયરસના કારણે હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા તા. 13 એપ્રિલ થી નોન એન.એફ.એસ.એ. એ.પી.એલ-1 કાર્ડધારકોને વિનામૂલ્યે 10કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કીલો ચણા કે ચણાની દાળનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તેના બીજા તબક્કા રૂપે મે માસ માટે પણ આવતીકાલથી જામનગર જિલ્લાના કુલ 1,97,674એ.પી.એલ.-1નોન એન.એફ.એસ.એકાર્ડધારકો છે,કે જે પૈકી જામનગર શહેરમાં જ 84,699એ.પી.એલ-1 રેશનકાર્ડધારકો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 1,12,975 કાર્ડધારકો છે તેમને આગામી દિવસોમાં અન્નનો પુરો જથ્થો મળી રહે તે માટે સસ્તા અનાજની દુકાન પર અનાજનું વિતરણ કરવામાં આવશે. કાર્ડધારકોએ દુકાન પર પોતાનો જથ્થો મેળવવા જતાં સમયે રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ રાખવું ફરજીયાત છે, તેમજ કાર્ડધારકો પોતે પોતાનો જથ્થો લઈ શકશે, અન્ય વ્યક્તિનો જથ્થો તેમને આપવામાં આવશે નહીં.
જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં આવતીકાલથી સવારે 8:00 થી રાત્રિના 8:00 સુધી વિતરણ કરવામાં આવશે, જેનું 11 મેસુધીમાં વિતરણ પૂર્ણ થશે. જ્યારે જામનગર શહેરમાં આવતીકાલથી વિતરણ શરૂ થશે પરંતુ કોઇ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે શહેર વિસ્તારમાં બપોરે2:00 થી રાત્રીના 10:00 કલાક સુધી અન્ન વિતરણ કરવામાં આવશે, જે 11તારીખ સુધીમાં પૂર્ણ થશે.11તારીખ સુધીમાં કાર્ડધારકોએ પોતાનો જથ્થો મેળવી લેવાનો રહેશે.
જામનગર જિલ્લાના નોન એન.એફ.એસ.એએ.પી.એલ-1 કાર્ડધારકોને જામનગરના પુરવઠા અધિકારીશ્રી કેયુર જેઠવાએ અપીલ કરતાં કહ્યું હતું કે, લોકો દુકાન પર પોતાનો જથ્થો મેળવવા જાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં વહીવટી તંત્રને સહકાર આપે અને સલામત અંતર જાળવીને દુકાનો પર ખોટી ભીડ ન કરીને પોતાનો જથ્થો મેળવે.
પુરવઠા અધિકારીશ્રી જેઠવાએ જામનગરના એપીએલ-1 કાર્ડધારકોને અનુરોધ કરતાં કહ્યું હતું કે, જે નોન એન.એફ.એસ.એએ.પી.એલ.-1 કાર્ડધારકો પોતાની પાસે અનાજનો પર્યાપ્ત જથ્થો ઘરે ધરાવતા હોય તેઓએ અગાઉ જામનગર શહેર પ્રત્યે પોતાની નૈતિક જવાબદારી સમજીને અન્ય જરૂરિયાતમંદોની તરફેણમાં પોતાનો જથ્થો જતો કરેલ હતો. સાધનસંપન્ન પરિવારો જરૂરિયાતમંદોની તરફેણમાં પોતાનો જથ્થો જતો કરી ફરી સમાજ સેવકની ભૂમિકા નિભાવે. અગાઉ જથ્થો જતો કરવા આગળ આવેલા સમાજ સેવકોની જેમ જ આ સમયે પણ પોતાનો જથ્થો જતો કરનાર સમાજ શ્રેષ્ઠીઓને તંત્ર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી નવાજવામાં આવશે.
Comments
Post a Comment