Skip to main content

જામનગરના દરેડ નજીક આવેલું ખોડીયાર મંદિર ચાલુ સીઝનમાં ત્રીજીવાર પાણીમાં ડૂબ્યું



જામનગર તા.30: જામનગર લાલપુર ધોરીમાર્ગ પર આવેલું ખોડીયાર મંદિર આજે બપોરે ભારે વરસાદના કારણે ડૂબયું હતું, અને 10 ફૂટ જેટલું પાણી મંદિર પરિસરના ફરી વળ્યું હતું જે નજારો નિહાળવા અનેક લોકો એકત્ર થયા હતા.

જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલું ખોડિયાર મંદિર કે જે રંગમતી નદીના પટમાં આવેલું છે. આજે બપોરે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઘોડાપુર આવ્યા હતા, અને સમગ્ર મંદિર પરિસર પાણીમાં ડૂબ્યું હતું અને મંદિરની અંદર 10 ફૂટ જેટલા પાણી ઘૂસ્યા હતા.

ઉપરવાસના વરસાદના કારણે રંગમતી ડેમ ઓવરફલો થયો હતો, અને ડેમના પાટિયા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું. જે ધસમસતા પાણીના પુરના કારણે દરેડ ખોડીયાર મંદિર આજે ડૂબ્યું હતું.

વરસાદ રહી ગયા પછી જામનગર શહેર અને દરેડ આસપાસના વિસ્તારના અનેક લોકો પાણીના પ્રવાહનો નજારો જોવા માટે એકત્ર થયા હતા. ચાલુ સિઝનમાં ત્રીજીવાર મંદિર પાણીમાં ડૂબ્યું  છે.

Comments