Skip to main content

જામનગરથી વતન જવા પરપ્રાંતિય મજુરોનું પ્રયાણ શરૂ

ગઇકાલે મધ્ય પ્રદેશ તથા ગુજરાતના દાહોદ અને ગોધરા વિસ્તારના વતની 1170 મજુરોને 39 બસમાં રવાના કરાયા: 39 પૈકી 20 બસમાં બ્રાસ ઉદ્યોગના મજુરો જયારે અન્ય 19 બસમાં ગ્રામ્ય વિસ્તારના મજુરોનો સમાવેશ: આજે દરેડ ખાતેથી મજુરોને લઇ જવા 6 બસ તૈયાર : મજુરોની આરોગ્ય ચકાસણી બાદ રવાના થશે બસ




જામનગર તા.2 :
જામનગર શહેર અને જિલ્લામાં મજુરી માટે આવેલા અને લોકડાઉનમાં કામ-ધંધા વગર ફસાયેલા પરપ્રાંતિય મજુરોને તેમના વતન જવા માટે સરકારે મંજુરી આપી છે. સરકારની મંજુરીને પગલે જામનગર જિલ્લામાંથી 1170 મજુરો 39 બસ મારફત ગઇકાલે વતન જવા રવાના થયા હતાં. જયારે આજે બ્રાસપાર્ટ ઉદ્યોગમાં કામ કરતા અને વતન જવા ઇચ્છતા મજુરોમાંથી 180 મજુરોને વતન મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા માટે સરકારે તકેદારીના ભાગરૂપે સમગ્ર દેશમાં 25 માર્ચથી લોકડાઉન જાહેર કરેલું છે. જો કે, જામનગર જિલ્લામાં 24 માર્ચથી લોકડાઉન અમલમાં છે. આ પરિસ્થિતિમાં ખાસ કરીને મજુરવર્ગના લોકોને સૌથી વધુ સહન કરવાનો વારો આવ્યો છે. ખાસ જોઇએ તો પરપ્રાંતમાંથી આજીવિકા માટે આવેલા મજુરો અને તેમના પરિવારજનોની હાલત વધુ કફોડી છે. કેમ કે, તેઓ સ્થાનિક ન હોવાથી કોઇ તેને વસ્તુ ઉધાર પણ ન આપે. ઘણા દિવસથી મજુરો વતનમાં જવા ઇચ્છતા હતા પરંતુ લોકડાઉનના કારણે વાહનની વ્યવસ્થા થતી ન હોવાથી ફસાયેલા હતાં.
ત્રણ દિવસ પહેલાં રાજય સરકારે પરપ્રાંતિય મજુરોને વતનમાં જવાની મંજુરી આપતો નિર્ણય કર્યો હતો. જો કે, મજુરોએ સ્વખર્ચે વતનમાં જવાનું હોવાથી પૈસાની વ્યવસ્થા પણ બધા મજુરો માટે શકય બની નથી. દાતાઓના સહકાર કે ઉદ્યોગકાર એસોસીએશનની મદદથી જે મજુરોને વ્યવસ્થા થઇ છે તેવા મજુરો વતન જવા લાગ્યા છે.
મળતી માહિતી અનુસાર જામનગર જિલ્લામાંથી ગઇકાલે 39 બસ પરપ્રાંતિય મજુરોને લઇને રવાના થઇ હતી. આ મજુરોમાં મોટા ભાગના મધ્ય પ્રદેશના ઝાંબુવા તથા ગુજરાતના દાહોદ અને ગોધરા વિસ્તારના હતાં. આ મજુરોની આરોગ્ય ખાતાની ટીમે ચકાસણી કર્યા બાદ દરેક બસમાં 30 મજુરોને બેસાડવામાં આવ્યા હતા અને વતન મોકલવામાં આવ્યા હતાં. આમ 39 બસમાં કુલ 1170 મજુરો વતન જવા રવાના થયા હતાં. આ 39 પૈકી 20 બસમાં જીઆઇડીસી ફેસ-2-3 માં કામ કરતા મજુરો હતાં. જયારે અન્ય 19 બસમાં જામનગર સિવાય જિલ્લાના અન્ય વિસ્તારોમાં કામ કરતા મજુરો હતાં.
દરેડ ગામે આવેલ જીઆઇડીસી ફેસ-3 ખાતે આજે સવારે છ બસ મજુરો માટે તૈયાર રાખવામાં આવી હતી. પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે સહિતની દેખરેખ રાખી હતી. જયારે આરોગ્ય વિભાગના કર્મચારીએ વતન જવા માટે આવેલા મજુરોની આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી. મજુરો ધીરે-ધીરે બસ ઉપડવાના સ્થળે આવી રહ્યાં છે. જો મજુરોની સંખ્યા વધશે તો વધુ બસ ફાળવવામાં આવશે તેમ જાણવા મળે છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.