Skip to main content

25 દિવસથી નવો કેસ નહીં છતાં જામનગર જિલ્લો ઓરેન્જ ઝોનમાં રખાતા આશ્ર્ચર્ય!

કેન્દ્ર સરકારની મુખ્ય ગાઇડલાઇન મુજબ 21 દિવસમાં નવો કેસ ન હોય તો, તે જિલ્લો ગ્રીન ઝોનમાં સમાવી શકાય: જામનગરમાં 5 મી એપ્રિલે પ્રથમ અને એક માત્ર પોઝીટીવ કેસ નોંધાયો હતો: પોરબંદરમાં ત્રણ પોઝીટીવ કેસ હોવા છતાં ગ્રીન ઝોનમાં કેન્દ્ર સરકારે સમાવતા સર્વત્ર આશ્ર્ચર્ય ફેલાયું: લોકોમાં અનેક તર્ક-વિતર્ક: જામનગરના ધારાસભ્યો અને સરકારમાં મંત્રી તરીકે કાર્યરત આર.સી.ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ દિશામાં યોગ્ય પ્રયાસ કરાશે તેવી સાંજ સમાચાર સાથેની મુલાકાતમાં અપાયેલી ખાત્રી

જામનગર તા.1
કેન્દ્ર સરકારે કોરોના સંદર્ભે દેશના જુદા-જુદા જિલ્લાઓને ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોનમાં મુકયા છે જેમાં જામનગર જિલ્લાનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરાતા આશ્ર્ચર્ય ફેલાયું છે. સામાન્ય રીતે પોરબંદરમાં જામનગર કરતા વધુ પોઝીટીવ કેસ નોંધાયેલ છે છતા તેનો ગ્રીન ઝોનમાં સમાવેશ થયો હોવાથી લોકોમાં આ અંગે અનેક તર્ક-વિતર્ક સાથે ચર્ચા જાગી છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગઇકાલે કોરોના વાઇરસ રોગના કેસોની સંખ્યાને આધારે દેશના તમામ જિલ્લાઓને ત્રણ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યા છે જેમાં ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોનનો ઉલ્લેખ છે.
કેન્દ્ર સરકારે કરેલી જિલ્લાઓના ઝોનની જાહેરાત મુજબ પોરબંદરમાં 3 કેસ પોઝીટીવ નોંધાયા છે અને તે ગ્રીન ઝોનમાં છે જયારે જામનગરમાં એક માત્ર કેસ તા.5 એપ્રિલના રોજ નોંધાયો હતો. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ દરેડ વિસ્તારમાં રહેતા મુસ્લિમ શ્રમિક પરિવારના 14 માસના પુત્રને કોરોના પોઝીટીવ આવ્યો હતો. 3 દિવસની સારવાર બાદ આ બાળકનું મૃત્યું નિપજ્યું હતું. આ પછી આજ સુધી જામનગર જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી જે તંત્રની સતર્કતા અને લોકોના સહયોગને આભારી છે.
પોરબંદરના ગ્રીન ઝોન અને જામનગર જિલ્લાના ઓરેન્જ ઝોનમાં કરાયેલા સમાવેશના કેન્દ્રના નિર્ણયને પગલે જામનગર શહેર અને જિલ્લાના લોકોમાં આશ્ર્ચર્ય સાથે તરેહ-તરેહની ચર્ચા- તર્ક-વિતર્ક શરૂ થયા છે. સરકારી તંત્રના પણ કેટલાક અધિકારીઓ આ બાબતે તપાસ કરવામાં લાગી ગયા હોવાનું જાણવા મળે છે.
જામનગરને ગ્રીન ઝોનમાં લાવવા પ્રયાસ કરીશું: ફળદુ-જાડેજા
જામનગર જિલ્લામાં છેલ્લા 25 દિવસથી કોરોનાનો નવો કોઇ કેસ નોંધાયો નથી. 21 દિવસમાં નવો કેસ ન નોંધાય તો જે તે જિલ્લાનો સામાન્ય રીતે ગ્રીન ઝોનમાં સમાવેશ થાય છે. અન્યથા ઓરેન્જ ઝોન કે વધુ કેસ હોય તો રેડ ઝોનમાં સમાવેશ થાય છે.
જામનગર જિલ્લાનો ગ્રીન જોનમાં સમાવેશ થવાની આશા ઉપર પાણી ફરી વળ્યું છે અને જામનગર હજુ ઓરેન્જ ઝોનમાં રાખવામાં આવ્યું છે. આ અંગે સાંજ સમાચાર દ્વારા જામનગરના ધારાસભ્યોનો સંપર્ક કરાયો હતો.
જામનગર દક્ષિણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ તથા જામનગર ઉત્તરના ધારાસભ્ય અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અમે આ મામલે તપાસ કરાવીશું અને જામનગર જિલ્લો વહેલી તકે ગ્રીન ઝોનમાં આવે તે માટે તમામ પ્રયાસો કરીશું અને સરકારનું ધ્યાન પણ દોરીશું.
કમિશ્ર્નર-ડી.એચ.ઓ શું કહે છે ?
જામનગરના મ્યુનિસિપલ કમિશ્ર્નર, સતીષ પટેલ, જામનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બથવારને આ અંગે પુછતા તેઓએ પણ સરકારની છેલ્લી માર્ગદર્શિકાનો અભ્યાસ કરી આ અંગે ઘટતી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ટેકનીકલ ખામી હોઈ શકે : ડીડીઓ ગર્ગ
કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાગ્રસ્ત વિસ્તારોને જુદી જુદી કેટેગરીમાં વિભાજીત કરી દીધા છે. જેમાં જામનગર જીલ્લાનો ઓરેન્જ ઝોનમાં અને પોરબંદર તથા મોરબી જીલ્લાનો ગ્રીનઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આંકડાકીય રીતે વાત કરવામાં આવે તો જામનગરમાં છેલ્લા 25 દિવસમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. બીજી તરફ અન્ય જીલ્લાઓનું જે રીતે કેસની દ્રષ્ટિએ વર્ગીકરણ કરવામાં આવ્યું છે એ રીતે જોતા જામનગરનો સમાવેશ ગ્રીન ઝોનમાં થવો જોઈએ. પરંતુ જામનગરને ઓરેન્જ ઝોનની યાદીમાં સમાવવામાં આવ્યું છે જે વિસંગતતા ઉભી કરી રહ્યું છે. આ બાબતે જીલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગના જણાવ્યા અનુસાર તાજેતરમાં જેમ અમદાવાદના દર્દીનો સમાવેશ જામનગરમાં થયો તે જ રીતે ડેટાએરરના કારણે આવું થયું હોઈ શકે. આ બાબતને સુધારવામાં આવી રહી હોવાનું તેઓએ જણાવ્યું છે.
કેન્દ્ર સરકારની ગાઇડલાઇનમાં રહેલા આ મુદ્દા અગત્યના
ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા મંત્રાલય દ્વારા તા. 30 એપ્રિલ 2020 ના રોજ કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ભારતના તમામ રાજ્યોના કયા જિલ્લાઓમાં ગ્રીન ઝોન, ઓરેન્જ ઝોન અને રેડ ઝોનમાં છે તે અંગે દર્શાવવામાં આવ્યું છે.
તેમા જણાવ્યા અનુસાર જે જિલ્લામાં એક અથવા વધારે મ્યુનિસીપલ કોર્પોરેશન, કોર્પોરેશન અને જિલ્લાના અન્ય વિસ્તારોનો અલગ યુનિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જો આ વિસ્તારના એક અથવા વધારે જગ્યાએ છેલ્લા 21 દિવસમાં કોરોના વાયરસનો એક પણ કેસ સામે ન આવ્યો હોય તેનો સમાવેશ એક નીચા સ્તરના ઝોનલ વર્ગીકરણમાં કરવામાં આવે છે અને આવા જિલ્લાને ઓરેન્જ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
આ જિલ્લાઓમાં વર્ગીકૃત ઝોનને આ આધારે વર્ણવવામાં આવશે.
* કેસ અને સંપર્કોનું મેપીંગ
* ભૌગોલીકતાને આધારે ફેલાયેલા કેસ અને સંપર્કો
* ક્ષેત્રફળના આધારે તે વિસ્તારની સારી પરિસ્થિતિ  

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...